Type Here to Get Search Results !

Agnipath scheme

 

Agnipath scheme 

કેન્દ્ર સરકારની સંરક્ષણ અંગેની કેબિનેટ કમિટી (Cabinet committee)એ ભારતીય સેનામાં ભરતી માટે 'અગ્નિપથ ભરતી યોજના' (Agnipath scheme) શરૂ કરી છે. આ યોજનાનો મુખ્ય ધ્યેય ત્રણેય સર્વિસમાં યુવાનોને જોડવાનો છે. આ યોજના તાત્કાલિક અમલમાં આવશે અને આ યોજના હેઠળ જોડાનાર જવાનોને અગ્નિવીર (Agniveer) કહેવામાં આવશે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ (Defence Minister Rajnath Singh)એ ત્રણેય સેનાના વડાઓની હાજરીમાં અગ્નિપથ યોજનાની જાહેરાત કરી હતી. રાજનાથ સિંહે કહ્યું કે, આ યોજના ભારતના સશસ્ત્ર દળોમાં ક્રાંતિ લાવશે. આ સાથે જ દેશની અર્થવ્યવસ્થામાં સુધારો થશે અને યુવાનોના ભવિષ્ય ઉજ્જવળ થઈ જશે.

અગ્નિપથ યોજના શું છે?

આ યોજના હેઠળ દર વર્ષે લગભગ 45,000થી 50,000 સૈનિકોની ભરતી કરવામાં આવશે. જેમાંથી મોટાભાગના જવાનોની સર્વિસ ચાર વર્ષની રહેશે. કુલ વાર્ષિક ભરતીઓમાંથી માત્ર 25 ટકા જવાનોને કાયમી કમિશન હેઠળ વધુ 15 વર્ષ સુધી ચાલુ રાખવામાં આવશે. આ પગલાથી દેશમાં 13 લાખ જવાનોના સશસ્ત્ર દળો પર અસર થશે. ઉપરાંત આના પરિણામે ડિફેન્સ પેન્શન બીલમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે. ડિફેન્સ પેંશન પાછળનો ખર્ચ સરકાર માટે ઘણા સમયથી ચિંતાનો વિષય રહ્યો છે.

અગ્નિવીર બનવા માટે લાયકાત શું રહેશે?

અગ્નિપથ યોજના હેઠળ પુરુષો અને સ્ત્રીઓ બંનેને અગ્નિવીર બનવાની તક આપવામાં આવશે. 17.5 વર્ષથી 21 વર્ષ સુધીના યુવાનો આ સેવામાં જોડાવા માટે પાત્ર હોઈ શકે છે. હાલ આર્મીના મેડિકલ અને ફિઝિકલ સ્ટાન્ડર્ડ માન્ય રહેશે. જે યુવાનો 10માં અને 12માં પાસ થયા છે તેઓ અગ્નિવીર બની શકે છે. નવી વ્યવસ્થા માત્ર અધિકારી રેન્કથી નીચેના કર્મચારીઓ માટે છે. અગ્નિપથ યોજના હેઠળ ભરતી વર્ષમાં બે વાર રેલીઓ દ્વારા કરવામાં આવશે.

પસંદગી થયા પછી શું થશે?

આ સ્કીમ હેઠળ પસંદગી પામ્યા પછી ઉમેદવારને 6 મહિનાની ટ્રેનિંગ લેવાની રહેશે અને પછી સાડા ત્રણ વર્ષ માટે તૈનાત કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન તેમને 30,000 રૂપિયાની પ્રારંભિક પગાર મળશે અને આ સાથે જ વધારાના લાભો પણ મળશે. આ લાભ ચાર વર્ષની સેવાના અંત સુધીમાં 40,000 રૂપિયા સુધી પહોંચી જશે.

અહીં ઉલ્લેખનીય છે કે, આ સમયગાળા દરમિયાન તેમના પગારના 30 ટકા સેવા નિધિ કાર્યક્રમ હેઠળ અલગ રાખવામાં આવશે અને સરકાર પણ દર મહિને એટલી જ રકમ આપશે. તેના પર વ્યાજ પણ મળશે. ચાર વર્ષના સમયગાળાના અંતે દરેક સૈનિકને 11.71 લાખ રૂપિયા લમ્પ સમ રકમ તરીકે મળશે અને તે કરમુક્ત રહેશે. આ સાથે તેમને ચાર વર્ષ માટે 48 લાખ રૂપિયાનું જીવન વીમા કવચ પણ મળશે. મૃત્યુના કિસ્સામાં 1 કરોડ રૂપિયા જેટલી ચુકવણી થશે. જેમાં સર્વિસ વગરના પગારનો પણ સમાવેશ થાય છે.

ઉમેદવાર 4 વર્ષ સુધી સેનામાં અગ્નિવીર તરીકે ફરજ બજાવશે. ચાર વર્ષની નોકરી બાદ અગ્નિવીર આર્મીની નોકરી છોડી દેશે. આ પછી તે સમાજમાં સ્કીલ્ડ નાગરિક તરીકે જીવન જીવી શકશે. મેરિટના આધારે અને આર્મીની જરૂરિયાત મુજબ 25 ટકા અગ્નિવીરોને રેગ્યુલર કેડરમાં સ્થાન આપવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે તેમને અન્ય નોકરીઓમાં પણ પ્રાથમિકતા આપવામાં આવશે જે લોકો ફરીથી પસંદ કરવામાં આવશે, તેમના માટે પ્રારંભિક ચાર વર્ષનો સમયગાળો નિવૃત્તિ લાભો માટે ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

ભરતી ક્યારે શરૂ થશે?

આ યોજના હેઠળ 90 દિવસની અંદર ભરતી શરૂ થશે. સર્વિસમાં અખિલ ભારતીય, તમામ વર્ગ મુજબ ભરતી કરવામાં આવશે. આર્મી માટે આ બાબત ખાસ કરીને મહત્ત્વની છે. આર્મીની રેજિમેન્ટ સિસ્ટમમાં પ્રદેશ અને જાતિ મુજબ રેજિમેન્ટ છે. આગામી સમયમાં કોઈ પણ જાતિ, પ્રદેશ, વર્ગ અથવા ધાર્મિક બેકગ્રાઉન્ડમાંથી કોઈ પણ વ્યક્તિ હાલની રેજિમેન્ટનો ભાગ બની શકે તે માટે સમય જતા જૂની પદ્ધતિ નાબૂદ કરવામાં આવશે.

આ યોજનાથી સશસ્ત્ર દળોને કેવી રીતે ફાયદો થશે?

લશ્કરી બાબતોના વિભાગના અધિક સચિવ લેફ્ટનન્ટ જનરલ અનિલ પુરીએ જણાવ્યું હતું કે, આજે સશસ્ત્ર દળોમાં સરેરાશ ઉંમર 32 વર્ષ છે, આ યોજના હેઠળ સરેરાશ ઉંમર છથી સાત વર્ષમાં ઘટીને 26 થઈ જશે અને તે "ભવિષ્ય માટે તૈયાર" સૈનિકો ઉભા કરશે.

આ યોજનાની જાહેરાત કરતાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું હતું કે, સશસ્ત્ર દળોની પ્રોફાઇલ વિશાળ ભારતીય વસ્તી જેટલી જ યુવાન હોવી કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેનાથી રોજગારની તકો વધશે અને ચાર વર્ષની સેવા દરમિયાન મેળવેલ સ્કિલ અને અનુભવને કારણે આવા સૈનિકોને વિવિધ ક્ષેત્રોમાં રોજગાર મળશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આનાથી અર્થતંત્રમાં ઉંચી સ્કિલ ધરાવતી વર્કફોર્સ મળશે. જે પ્રોડક્ટિવિટી ગેઇન અને એકંદર જીડીપી વૃદ્ધિમાં મદદરૂપ થશે. લેફ્ટનન્ટ જનરલ પુરીએ કહ્યું કે, સરકાર ચાર વર્ષ પછી સેવાઓ છોડનારા સૈનિકોના પુનર્વસનમાં મદદ કરશે. તેમને સ્કિલના પ્રમાણપત્રો અને બ્રિજ અભ્યાસક્રમો પૂરા પાડવામાં આવશે. 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.